Skip to Content

Amit Shah to be the Chief Guest at Gujarat Vidyapith's 72nd Convocation Ceremony to be held on August 27

ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે યોજાશે,અમિત શાહ રહેશે મુખ્ય અતિથિ
24 August 2026 by
thenewsagency


Ahmedabad, August 24 (TNA) મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો 72મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી 27 ઓગસ્ટના રોજ અમદાવાદ સ્થિત પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે, જ્યાં 900 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આપશે દીક્ષાંત પ્રવચન

ગૂજરાત વિદ્યાપીઠની સત્તાવાર યાદી મુજબ, 27 ઓગસ્ટ, ગુરુવારે સાંજે 4:30 કલાકે ગાંધી પરિસરના પ્રાંગણમાં આ ભવ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપશે. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે.

900 વિદ્યાર્થીઓને પદવી અને 11 ને એનાયત થશે વિશેષ ચંદ્રક

આ વર્ષના પદવીદાન સમારોહમાં કુલ 7 વિદ્યાશાખાના 18 વિભાગોના 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પદવીધારકોમાં સ્નાતક કક્ષાના 184, અનુસ્નાતક કક્ષાના 400 અને પીએચડી/એમ.ફિલ. ના 63 વિદ્યાર્થીઓ સામેલ છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 11 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્યાશાખાના 'કુલાધિપતિ મંદિર ચંદ્રક' અને 'ધ્વજ ચંદ્રક' તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં 559 પદવીધારકો પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહીને દીક્ષા લેશે.

ગાંધીવાદી મૂલ્યો અને સર્વાંગી વિકાસના આધારે ચંદ્રકની પસંદગી

વર્ષ 1920 માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં માત્ર પુસ્તકિયા જ્ઞાન નહીં, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સુવર્ણ ચંદ્રક માટે પસંદગી પામનાર વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સિદ્ધિ ઉપરાંત સંશોધન, સામાજિક સેવા (NSS/NCC), રમતગમત, નેતૃત્વ અને ખાસ કરીને નૈતિક આચરણ તથા ગાંધીવાદી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા ઓછામાં ઓછા 3 ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવેલી હોવી ફરજિયાત છે.

અગાઉના સમારોહમાં રાષ્ટ્રપતિઓ આપી ચૂક્યા છે હાજરી

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠના પદવીદાન સમારોહનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. ગત વર્ષે 71મા પદવીદાન સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા. અગાઉ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. ઝાકિર હુસૈન, જ્ઞાની ઝૈલસિંઘ, ડૉ. શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી જેવા મહાનુભાવો પણ આ ઐતિહાસિક સંસ્થાના સમારોહની શોભા વધારી ચૂક્યા છે. આગામી 27 ઓગસ્ટના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


Share this post
Tags 


Archive